IndiaPolitics

મણિપુરની ઘટનાને લઈને પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, એકપણ ગુનેગારને છોડવામાં નહી આવે

મણિપુરમાં કુકી સમાજની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રોડ ઉપર પરેડ કરાવવાની ઘટના સામે આવ્યા પછી સમગ્ર દેશના લોકોમાં તે ઘટનાને લઈને રોષ છે. ત્યારે આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ તેમજ આક્રોશ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરમાં મહિલાઓ સાથે જે થયું તે ખૂબ જ ખોટું છે. તેને ક્યારેય પણ માફ કરી શકાશે નહીં. આ ઘટનાથી મારું હ્રદય અત્યંત પીડા અને ક્રોધથી ભરેલું છે.

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં કુકી સમાજની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રોડ ઉપર પરેડ કરાવવાની ઘટના સામે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ તેમજ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કોઈ પણ સભ્ય સમાજને ખૂબ જ શાર્મશાર કરે એવી આ ઘટના છે. પાપ અને ગુનો કરનારા તો કેટલાક લોકો જ છે. પરંતુ તેમના કારણે સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે. અને દેશના 140 કરોડ નાગરિકોએ શર્મસાર થવું પડ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, હું તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આગ્રહ કરું છું કે તેઓ તેમના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુમાં વધુ મજબૂત કરે. અને આપણી માતાઓ તેમજ બહેનોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કઠોરથી કઠોર પગલાં ભરો. ઘટના છત્તીસગઢની હોય કે રાજસ્થાનની કે પછી મણિપુરની જ કેમ ના હોય. દેશના દરેક રાજ્યમાં કાયદો વ્યવસ્થાનું મહત્વ અને મહિલાઓનું સન્માન હોવું જોઈએ. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે એક પણ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.

નોંધનીય છે કે, સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, બધા જ સાંસદો સાથે મળીને આ સત્રનો સદઉપયોગ કરશે તેવી મને પૂરેપૂરી આશા છે. ચર્ચા કરવી એ સંસદની જવાબદારી છે. જેટલી વધુ ચર્ચા થશે તેટલા જ દૂરગામી પ્રભાવ પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, જે પણ બિલ આ સત્રમાં લાવવામાં આવશે તે બધા જ બિલ જનતા સંલગ્ન હશે.